LESSON 6 (પાઠ ૬ - નર્મદા મૈયા)
પાઠ ૬ - નર્મદા મૈયા (રમણ સોની)
આ પાઠમાં બાળકોને આપણે નર્મદા નદી ગુજરાત ની જીવાદોરી છે તેની સમજ આપવાની છે. તેની સાથે નર્મદા નદી ની શરૂઆત થી લઇ દરિયાને મળે ત્યાં સુધી વચ્ચે આવતા સ્થળો ની સમજ આપવાની છે. તેમાં સરદાર સરોવર ડેમ ની માહિતી પણ બાળકો ને આપવાની છે.
અહી પાઠમાં આવતી માહિતી સિવાયની અન્ય માહિતી બાળકો માટે મુકેલી છે. જે બાળકોને પાઠની સમજ માટે ઉપયોગી થશે.
નર્મદાનું મહાત્મ્ય
- ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણાય છે.
- નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે.
- હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે.
- આ નદી ગુજરાતમાં હુકમેશ્વર પાસેથી પ્રવેશે છે.
- કુદરતી પ્રક્રીયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરો ને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યનાતાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
- નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી.
- ચાલુક્ય રાજા પુલકેશીન બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.
- નર્મદા નદી ની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.
જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર શ્રી અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમણે આ યાત્રાના વર્ણનો ખૂબ જ રસભર લખ્યા છે જે પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે.
- નર્મદા નદી સંશોધન માટે પણં મહત્વનીં છે તેની ખીણમાંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે.
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે.સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અનેસાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચનજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.
નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કેયમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાંપ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક કરોડો રૂપિયાના ખર્ચે સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૦ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાંપહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વિજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરની નર્મદા બચાઓ આંદોલન બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.
નર્મદા નદી નો વિગતવાર વિડીયો
Labels: GUJARATI STD-5




























